ગુજરાતી અને હીન્દી સાથે એમ. એ. સુધીનો અભ્યાસ કરીને પારેખ કૉલેજ, મહુવા, (સૌરાષ્ટ્ર)માં સાહીત્યના પ્રાધ્યાપક તરીકે સફળ અધ્યાપન કાર્ય કરીને નીવૃત્ત થયેલા તેમ જ ૩૫ વર્ષથી રૅશનલ જીવન જીવતા પ્રો. જે. પી. મહેતા‘મધુબીન્દુ’ એ અગાઉ લખીને પ્રકાશીત કરેલી કેટલીક રૅશનલ પુસ્તીકાઓમાંથી અમુક વીચારો ચુંટીને ‘શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ’ નામક પુસ્તીકામાં સમાવ્યા છે. ‘અભીવ્યક્તી’ બ્લોગના વાચકમીત્રો અને વડીલો માટે આ પુસ્તીકામાંથી વીણેલા વીચારો અત્રે પ્રસ્તુત કર્યાં છે:–ગોવીન્દ મારુ
શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ
૯ |
‘જે દેશમાં – ધર્મમાં – કરોડો લોકો અર્ધા ભુખે મરે છે અને લાખો સાધુઓ ગરીબોનાં લોહી ચુંસી પેટ ભરે છે; છતાં તેમના ઉદ્ધારનો વીચાર થતો નથી એ તે દેશ છે કે દોજખ ? નર્ક ? એ તે ધર્મપાલન કે શૈતાનનું તાંડવ ?’–સ્વામી વીવેકાનન્દ |
૧૪ |
‘મને નથી લાગતું કે જગતમાં ક્યારેય પણ ચમત્કારો થયા હોય અને થવાના પણ નથી જ. એટલે બુદ્ધીમાં ન ઉતરે તેવું બને ત્યારે તે કેવી રીતે ને શા માટે બન્યું તે જાણવા સંશોધન કરવું જોઈએ.’–ઓશો રજનીશ |
૧૫ |
‘જેમનામાં ભ્રમ–વીભ્રમ, પરાશક્તી, ટેલીપથી, અંત:પ્રેરણા, દૈવી તાકાત, વળગાડ, માતાજી કે ભુતપ્રેત પ્રવેશ થાય છે, તે લોકો સ્કીઝોટાઈપ પર્સનાલીટી ડીસઓર્ડર અર્થાત્ વળગાડ યુક્ત, ભ્રામક વ્યક્તીત્વવાળાં છે ને આ મનોરોગ છે.’–ડૉ. મુકુલ ચોકસી, મનોચીકીત્સક, સુરત |
૧૬ |
‘વીજ્ઞાનની ડીગ્રીઓ મેળવવાથી કાંઈ વૈજ્ઞાનીક અભીગમ કેળવાતો નથી. સેંકડો ડૉક્ટરો, ઈજનેરો, વૈજ્ઞાનીકો બાવા–બાપુઓના પગે પડે છે. શ્રીફળ વધેરી દવાખાનાંનાં ઉદ્ધાટન કરે છે, કમ્પ્યુટરને હાર પહેરાવી તેની પુજા કરે છે, કમ્પ્યુટરમાં કુંડળી કઢાવે છે ! આ બધું તુત છે, વીજ્ઞાનના નીયમો સમજવા માટે ખુલ્લી ને તીક્ષણ બુદ્ધી ને તર્ક જોઈએ’–પ્રા. રમણ પાઠક |
૧૭ |
એકપણ બાવા–બાપુ, મૌલવી કે પ્રીસ્ટ–પાદરીએ મંદીર-મસ્જીદ કે ચર્ચમાં માનવ જાતને કલ્યાણકારી લાઈટ, ફોન, ફ્રીજ, ટી.વી., કમ્પ્યુટર વગેરેની એકપણ શોધ કરી નથી ને છતાં તે બધી સગવડોનો ભરપુર ઉપયોગ કરી, જે થાળીમાં જમે તેમાં થુંકે – તેમ વીજ્ઞાનની જ ટીકા કરે છે. જ્યારે વૈજ્ઞાનીક– મહીનાઓ સુધી પ્રયોગશાળામાં ગોંધાઈ, જીવનનાં તમામ સુખ–વૈભવ ત્યજી પોતાનાં ધ્યેયનાં સંશોધનમાં મગ્ન રહે છે. માટે જ જય વીજ્ઞાન, જય વૈજ્ઞાનીક ને જય જય વૈજ્ઞાનીક દૃષ્ટી !’–પ્રો. જે. પી. મહેતા, ‘મધુબીન્દુ’ |
૧૮ |
‘આપણે ધાર્મીક ક્રીયાકાંડ, વીધી–વીધાન કરી જે તન-મન-ધનનો બગાડ કરીએ છીએ, ઉત્પાદક શ્રમ કરતાં નથી, પ્રાર્થના–પુજામાં સમય વેડફીએ છીએ, યજ્ઞોમાં કીમતી ઘી–તેલ–જવ–તલ–શ્રીફળનો વીનાશ કરીએ છીએ. ડૉ. પાસે જવાને બદલે ભુવા, તાન્ત્રીકો પાસે જઈ કે બાધા આખડી રાખી બરબાદ થઈએ છીએ – આ બધી બેવકુફીને અન્ધશ્રદ્ધાના મુળ ગરીબી, અજ્ઞાન અને સૌથી વધુ ધર્માન્ધતામાં જ છે.’– ડૉ. કોવુર |
૨૪ |
‘આપણે હજીપણ સીદ્ધાન્તજડ ધર્મની જરી પુરાણી, નીતી–રીતી, માન્યતાઓને વીધીનીષેધ છોડતાં નથી ને છતાં વીજ્ઞાની હોવાનો જુઠો દાવો કરીએ છીએ, આ નર્યો વીરોધાભાસ છે.’–જવાહરલાલ નહેરુ |
૨૬ |
‘મેં મારા ૬૦ વર્ષની સાધુ જીન્દગીમાં આખો હીમાલય ફર્યા પછી ક્યાંય–કદી જોયું નથી કે હીમાલયના સાધુબાવાઓ (૧) સદીઓ સુધી જીવે છે. (૨) તેઓ નીરાહારી રહી વર્ષો કાઢી શકે છે. (૩) તેઓમાં મૃત સંજીવની, આકાશગમન, ચમત્કારી જડીબુટ્ટી વગેરેની કોઈ જ સીદ્ધી નથી જ નથી. મેં મારી દીર્ધ જીન્દગીમાં કદી એકપણ ચમત્કાર જોયો નથી. અન્ધશ્રદ્ધા માનવને જડ, ઝનુનીને અજ્ઞાની જ બનાવે છે.’–સ્વામી આનન્દ, ગાંધીજીના હીમાલયવાસી શીષ્ય |
૨૯ |
‘પાહન પુજે હરી મીલે તો મેં પુજું પહાર’ –કબીર
(જડ પથ્થર મુર્તી–પુજાના વીરોધમાં કબીરજી કહે છે કે જો પથ્થર પુજવાથી પ્રભુ મળતાં હોય તો હું આખો પર્વત જ પુજીશ. અર્થાત્ જડમુર્તી પુજા નીરર્થક જ છે.) |
૪૩ |
‘ખગોળ, ભૌતીક, રસાયણ અને જીવશાસ્ત્રનાં વીવીધ વીજ્ઞાનક્ષેત્રોના વીશ્વના ૧૮૫ જેટલા વીજ્ઞાનીઓએ (જેમાંના ઘણા તો નોબેલ પ્રાઈઝ વીજેતા છે) અમેરીકન સામયીક ‘હ્યુમેનીસ્ટ’ના ઓક્ટોબર, ૧૯૭૫ના અંકમાં એકી અવાજે જાહેર કર્યું છે કે મંત્ર–તંત્ર–જાદુ–ચમત્કારો–ભુતપ્રેત, જ્યોતીષ વગેરે અન્ધશ્રદ્ધા જ છે કે જેને કોઈજ વૈજ્ઞાનીક આધાર નથી.’–વલ્લ્ભભાઈ ઈટાલીયા |
૪૯ |
‘ભારતમાં બુદ્ધીશાળી, બુદ્ધીજીવી પ્રજા છે પણ બુદ્ધીનીષ્ઠા નથી. સરકાર આયોજીત સમારમ્ભની ગુજરાતી ફીલ્મોમાંથી ૨૬ ફીલ્મોમાં માતાજીના ચમત્કારો હતા !’–રજનીકુમાર પંડ્યા |
૫૬ |
‘સુખી ને સમૃદ્ધ થવા માટે યજ્ઞો કરનારા ભારતનો, વીશ્વસમૃદ્ધીમાં ૧૦૨મો નંબર છે. વીશ્વના ૧૦૧ દેશો યજ્ઞો ન કરવા છતાં આપણા કરતાં વધુ સમૃદ્ધ છે. અર્થાત્ યજ્ઞો એટલે કીમતી સામગ્રી આગમાં બાળવી. ગ્રામજનોને શુદ્ધ પેયજળ મળતું નથી; ત્યાં તમે કીલોબન્ધ શુદ્ધ ઘી બાળો તો તમે માનવ કે દાનવ ?’–સ્વામી સચ્ચીદાનન્દ |
૬૫ |
‘એક જ ગામમાં એકી સાથે સેંકડો મન્દીર-(દા.ત. હરીદ્વાર, કાશી કે વૃન્દાવનમાં) એ પ્રજાના તન–મન–ધનનો બગાડ જ છે. સામ્પ્રદાયીક સામૈયા એ પણ નીષેધ કરવા યોગ્ય કુપ્રવૃત્તી જ છે. બાપુઓની-કથાકારોની પધરામણી મુર્ખ ભક્તોના ગુલામી માનસની જ ઉપજ છે. આટલા બધા યજ્ઞો-ધર્મશીબીરો-જ્ઞાનયજ્ઞો-સત્કાર સમારંભો વગેરે બધું જ ત્યાજ્ય નીંદનીય છે. કહેવાતા ચમત્કારોથી ધુતારા ધર્મગુરુઓ ભોળા પણ લોભી ચેલાઓને ધુતે છે. આ બધો જ અધર્મ છે. દેશની સમગ્ર પ્રજા જ્યારે કર્મઠ, ભૌતીકવાદી, જ્ઞાની, ભ્રમમુક્ત, ધર્મ-સમ્પ્રદાય મુક્ત થશે ત્યારે જ દેશનો ઉદ્ધાર છે. સાધુઓની કામલીલાઓને લમ્પટલીલાઓ વારમ્વાર છાપાંઓમાં આવે છે. છતાં લોકો આ કહેવાતા પ.પુ.ધ.ધુ.નાં ચરણ છોડતા નથી, આ પ્રજાના પતનની નીશાની છે. ઢોંગી ધર્મગુરુ કરતાં પણ તેને પોષતી પ્રજા વધુ ધીક્કારને પાત્ર છે.’–સ્વામી સચ્ચીદાનન્દ ● (પ્રશ્નોના મુળમાં) |
૭૭ |
‘જેની પાસે કશું નથી તે ધર્મ શ્રદ્ધાનો કે ધર્મ કાનુનનો ગેરલાભ લઈ જીવે છે. સમાજ જેટલો ગરીબ – પછાત – અજ્ઞાની – અન્ધશ્રદ્ધાળુ તેટલા ધર્મગુરુઓને ઘીકેળાં ! માનવ કે સમાજ પાસે જેમ જેમ જ્ઞાન, વીવેક, સમજણ અને સમૃદ્ધી આવે તેમ તેમ ધર્માન્ધતા ઓછી થાય છે. રાજકારણીઓ ધર્મને હાથો બનાવી ‘જેહાદ’ની કુભાવના જગાવે છે તે ધર્મનો દુરુપયોગ છે. દુનીયા ફક્ત ધર્માન્ધતાથી નથી ચાલતી. તે તો ચાલે છે ખેતરો-કારખાનાનાં ઉત્પાદનો, નવી નવી વૈજ્ઞાનીક શોધ તથા ભલા માનવોની વીવેકબુદ્ધીથી.’–નગીનદાસ સંધવી |
૮૩ |
‘કોઈ માણસને પરમેશ્વર કે મસીહા માનીને ભ્રમમાં જીવશો નહીં. કોઈ મહાનમાં મહાન ગણાતો માનવ પણ ભુલ ન જ કરે તેમ ન માનશો. વેદોમાં મુર્તીપુજા કે ગંગાપુજા નથી. – મહર્ષી દયાનન્દજી ● (આર્યસ્માજના સ્થાપક) |
૯૮ |
‘પુજા પાઠ કરાવીને કે ગ્રહનક્ષત્ર આદીનાં ફળ દર્શાવીને પ્રજાને ભયભીત કરતા પુરોહીતોને બ્રાહ્મણ વર્ગમાંથી હાંકી કાઢો.’–મહાભારત |
૧૦૧ |
‘આત્મા–પરમાત્મા એ કેવળ કલ્પનાઓ છે. માનવ જન્મે ત્યારે કોઈ જ પાપ પુણ્યનાં પોટલાં લઈને પેદા થતો નથી. તો પછી પુર્વજન્મ કે પુનર્જન્મની ધારણા ખોટી છે.’– ‘ભારત રત્ન’–મહર્ષી કર્વે ● કેળવણીકાર |
૧૦૨ |
‘જગત જે રીતે વીષમતા તથા ઘૃણાથી ભરાઈ રહ્યું છે તે જોતાં જગતનો કોઈ કર્તા છે, ને તે વળી દયાળુ છે; તે તો માની જ ન શકાય.’–કપીલ મુની |
૧૧૪ |
‘સમાજ વીજ્ઞાનનો ક-ખ-ગ નહીં જાણનારા કથાકારો બાપુઓ બહુ કાલુ કાલુ બોલે છે. કથાઓ માત્ર કૉમર્સ છે. કથા પાછળ જે જંગી ખર્ચા થાય છે તે કરચોરો, સંઘરાખોરો ને કટકી બાજ નેતાઓ આપે છે. બાપુઓ ઉપદેશમાં શુરા છે; પણ અંગત જીવનમાં તદ્દન વીલાસીને ભોગાસક્ત છે. એને ચલાવવા માટે પબ્લીક રીલેશનની અદ્ ભુત ટેકનીક બાપુઓ પાસે છે. માટે જ લાખો ભક્તોને આકર્ષી તેમના તન-મન-ધનનું શોષણ કરે છે.’–ઈન્દુકુમાર જાની, તંત્રી ‘નયામાર્ગ’ (બૈઠ પથ્થરકી નાવ)માંથી |
૧૨૪ |
‘આ બધા ધર્મોએ હીન્દને એક કેદખાનું બનાવી દીધું છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના કટ્ટર શત્રુ બને, તો તેમાં રાષ્ટ્રીય એકતા આવે ?–શહીદ ભગતસીંહ |
૧૨૫ |
‘જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ તે બધા જ પુરા ધર્મવીચારથી ભરેલા નથી. ‘મહાભારત’, ‘મનુસ્મૃતી’, ‘કુરાન’, ‘બાઈબલ’ વગેરે દરેકની મર્યાદા છે. તેથી જ કોઈ એક ધર્મગ્રંથ ને પ્રમાણીને ચાલવાની વાત ખોટી છે. આજે ધર્મસંસ્થાઓની સમાજ પર ઘણી જ ખરાબ અસર થઈ છે. મારું માનવું છે કે વીજ્ઞાનયુગમાં મજહબ કે સમ્પ્રદાયને કોઈ જ સ્થાન નથી. ધર્મ પણ એક જ હોય અને તે માનવ ધર્મ.’ – વીનોબા ભાવે |
૧૩૦ |
‘વૈદીક મન્ત્રોની શક્તીથી મુર્તીમાં દીવ્યત્વ આવે છે કે નામસ્મરણ કરવાથી ઈશ્વર દર્શન દે છે કે સાધુની દીવ્યશક્તીથી ચમત્કારો થાય છે : આવી અન્ધશ્રદ્ધાથી સમાજ છતી આંખે આંધળો થાય તો પછી વાંક કોનો ?’–કેદારનાથજી |
૧૩૪ |
‘પોતે હરીને ન જાણે લેશ, કાઢી બેઠા ગુરુનો વેશ, એક એક કહે માહરો પંથ જયમ ગુણકા એ ધાર્યો કંથ’, ‘લોભી ગુરુ લાલચી પેલા દોંનો ખેલે દાવ ભવસાગરમેં ડુબતે બૈઠ પથ્થર કી નાવ’–કવી અખા ભગત |
Leave a comment